આણંદ મનપાને ૧૩ વોર્ડમાં વિભાજિત કરાતા હવે બાવન (૫૨) નગરસેવકો ચૂંટાશે
આણંદ મનપાને ૧૩ વોર્ડમાં વિભાજિત કરાતા હવે બાવન (૫૨) નગરસેવકો ચૂંટાશે
આણંદ મહાનગરપાલિકા માટે ના વોર્ડ અને નગરસેવકોની સંખ્યા દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
આણંદ, શુક્રવાર
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો અપાયા બાદ હવે વોર્ડ અને નગરસેવકોની સંખ્યા દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
શહેર વિકાસ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આ જાહેરનામામાં આણંદ મહાનગરપાલિકાને ૧૩ વોર્ડમાં વિભાજિત કરવામાં આવી છે. એક વોર્ડ દીઠ ચાર એ રીતે કુલ બાવન (૫૨) નગરસેવકો ચૂંટાશે.
આ જાહેરનામા મુજબ બાવન (૫૨) બેઠકોમાંથી બેઠકોની ફાળવણી જોઇએ તો બે (૦૨) બેઠકો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે, જેમાંથી એક (૧) બેઠક અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
બે (૨) બેઠકો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે, જેમાંથી એક (૧) બેઠક અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
૧૪ બેઠકો પછાત વર્ગના વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે, જેમાંથી સાત (૦૭) બેઠકો પછાત વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
છવ્વીસ (૨૬) બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે, જેમાં ઉક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગની મહિલાઓ માટેની બેઠકોનો સમાવેશ થાય છે.
***