AnandToday
ઑસ્ટ્રેલિયા- મેલબોર્નની ધરતી પર વડતાલ સંસ્થા સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરશે.
Friday, 10 Mar 2023 18:30 pm
AnandToday

AnandToday

ઑસ્ટ્રેલિયા- મેલબોર્નની ધરતી પર વડતાલ સંસ્થા સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરશે.

ઓસ્ટેલિયાના મેલબોર્ન શહેરમાં ટારનેટ - શ્રેયસ રોડ પર ૧.૫ એકર જમીન સંપાદિત કરવામાં આવી .

વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિર નિર્માણકાર્ય હાથ ધરવામા આવ્યું છે. 
વડતાલગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવં વડિલ સંતોના આશીર્વાદ , મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ , સત્સંગ મહાસભા એવં સ્થાનિક ભક્તોના સહકારથી મેલબોર્નમાં મંદિર નિર્માણ થનાર છે. હાલમાં વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી ડો સંત સ્વામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ૨૦૨૪ના ઉપક્રમે ઓસ્ટેલિયાની સત્સંગ યાત્રાએ છે. મેલબોર્નમાં છેલ્લા ૧૦ વર્ષથી સત્સંગ મંડળ કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ , વ્યસનમુક્તિ અને ભક્તિમય જીવન માટે મંદિરની તાતી જરુરીયાત છે. ઓસ્ટેલિયાના મેલબોર્ન શહેરમાં ટારનેટ - શ્રેયસ રોડ પર ૧.૫ એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં વર્તમાન મકાનમાં ટેમ્પરરી સત્સંગ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવશે. અને સમયજતા જરૂરી મંજુરીઓ મેળવીને વડતાલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. 
સ્વામિનારાયણ સંપ્રદાય આજે દેશ વિદેશ સક્રિય બનીને કાર્ય કરી રહ્યો છે. ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણે સ્વયં છ મંદિરો બંધાવ્યા છે. આપણા શ્રેય માટે આજે પણ મંદિરો તાતી જરૂરી છે.મેલબોર્ન સત્સંગીઓની શ્રદ્ધા વિશ્વાસ અને ઉત્સાહ જોતા એવું લાગે છે કે, ટુંક સમયમાં અંહિ વડતાલ તાબાનું ભવ્ય મંદિર નિર્માણ પામશે . આપણે સહુએ એમાં તન મન ધનથી યથાશક્તિ સહયોગ આપવો . 
આ પ્રસંગે શાકોત્સવ - રંગોત્સવ અને સમૂહ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે , જેમાં મોટી સંખ્યામાં કાનમ- ચરોતર અને સૌરાષ્ટ્રના સત્સંગીઓ જોડાશે . 
પ્રમુખશ્રી સંજય પટેલ - મેઘવા , અતુલ પટેલ મેતપુર , ચેતન પટેલ - વડજ , ભરત પટેલ - વડોદરા , હિરેન પટેલ કંડારી , નિલેશ પટેલ કંડારી વગેરે કમિટી મેમ્બર સત્સંગ સેવા માટે સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે.